

દાહોદ તા.૦૨
કૃષિ ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ભારત સરકાર દ્વારા આયોજિત પી.એમ. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને તેમજ પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ આદિજાતિ મ્યુઝિયમ દાહોદ ખાતે કરવામાં આવી હતી.
જેમાં રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડએ પી.એમ. કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત ૨૦ માં હપ્તાહ પેટે દાહોદ જિલ્લાના કુલ ૦૨.૬૮.૪૭૦ લાભાર્થીઓને કુલ ૬૦.૬૪ કરોડ જેટલી રકમ ખેડૂત મિત્રો ના ખાતામાં જમા કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી વિભાગ તરફથી વિવિધ પ્રકારની સહાય આપવામાં આવી રહી છે. ખેડૂતોને ખેતી માટે યાંત્રિક સાધનો, ઉત્તમ પ્રકારના બિયારણ, સિંચાઈ કુવા ,બોર દ્વારા મેળવી રહ્યા છે, પણ આવનાર સમયમાં કડાણા ડેમમાંથી અને નર્મદા નદીમાંથી દાહોદ જિલ્લાના તમામ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
દાહોદ જિલ્લાના ખેડૂતોને દરેક પ્રકારે સરકાર સહાયક બનીને કામ કરી રહી છે. ખેડૂતો, બાગાયતી ખેતી, પશુપાલન, રોકડીયા પાક તેમજ શાકભાજી દ્વારા ખેડૂતનું જીવન ધોરણ સુધરે, આવક બમણી થાય એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનું સ્વપ્ન છે, જેથી દરેક ખેડૂતો સુધી કિસાન સન્માન નિધિ પહોંચે એ માટેના સરકારના વિભાગો દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે સંબોધન કરતા કહ્યું હતું કે, દાહોદ જિલ્લો ખેતીમાં, દરેક પાકોમાં આગળ આવ્યો છે. સાથોસાથ રોકડિયા પાક શાકભાજી ફળફળાદી પ્રાકૃતિક ખેતીમાં પણ અગ્રેસર રહ્યો છે. ખેડૂતોને પ્રાથમિક જરૂરિયાત સરળતાથી મળી રહે તે માટેના પગલા ભારત સરકાર અને રાજ્ય સરકાર કરી રહી છે. આવનાર સમયમાં દરેક ખેડૂતના ખેતરમાં નર્મદા અને કડાણાના પાણી હશે. ખેડૂત ત્રણ પાક લેતો થશે. ખેડૂત સધ્ધર બની આગળ આવશે. મારા દેશના ખેડૂતો સાથે દેશ સમૃદ્ધ બનશે અને એના થકી જ આપણે વિકસિત ભારત તરફ આગળ વધીશું. એ માટે ખેડૂતોને સમૃદ્ધ બનાવવા એ મોદી સરકારનું વિઝાન રહ્યું છે.
દાહોદ જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ઉતર પ્રદેશ ખાતે ઉપસ્થિત રહી પી.એમ. કિસાન સમ્માન નિધિ જમા કરાવી કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરી હતી. અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા કિસાન ઉત્સવ દિવસનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. કિસાન ઉત્સવ દિવસની ઉજવણી દરમિયાન મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, ફતેપુરા ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા, ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, લીમખેડા ધારાસભ્યશ્રી શૈલેષભાઈ ભાભોર, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી, નાયબ નિયામક ખેતીવાડી અધિકારીશ્રી પ્રતિક દવે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ખેડૂત મિત્રો અને સંબંધિત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
